લખીસરાયમાં વીજ કરંટની અફવાથી નાસભાગ, 7 મહિલા શ્રદ્ધાળુનાં મોત; 12થી વધુ ઘાયલ
બિહારના લખીસરાયમાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે જ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પ્રસિદ્ધ અશોકધામ મંદિરમાં જળાભિષેક માટે ઉમટેલી ભારે ભીડ વચ્ચે ભાગદોડ મચી હતી. આ ઘટનામાં 7 મહિલા શ્રદ્ધાળુઓનાં મોત થયા હતા, જ્યારે 12થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, રાત્રિના સમયે મંદિર તરફ જવાના માર્ગ પર વીજળીનો થાંભલો તાર સહિત પડી ગયો હતો. સોમવારે સવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જળાભિષેક માટે લાઈનમાં ઊભા હતા. તે દરમિયાન થાંભલામાં વીજ કરંટ ફેલાયો હોવાની અફવા ફેલાઈ હતી. અફવાના પગલે ભીડમાં અચાનક ગભરાટ ફેલાતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.
તે સમયે અંદાજે 60 હજાર જેટલા શ્રદ્ધાળુઓ લાઈનમાં હોવાનું જાણવા મળ્યું છે. ભીડના દબાણ વચ્ચે બેરીકેડ તૂટી પડતાં લોકો એકબીજા પર પડવા લાગ્યા હતા. થોડી જ ક્ષણોમાં ઘટનાસ્થળે અફરાતફરી અને ચીસાચીસનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસ અને વહીવટી તંત્રની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દબાયેલા શ્રદ્ધાળુઓને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તબીબોની ટીમ સારવાર કરી રહી છે. કેટલાક ઘાયલોની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ભાગદોડ બાદ પ્રશાસન દ્વારા મંદિર અને આસપાસના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.









