સ્વતંત્રતા દિવસે ટીમ ઈન્ડિયાએ તિરંગો ફરકાવી રાષ્ટ્રગાન ગાયું; ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય
શ્રીલંકાના ગોલ સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચનો ઐતિહાસિક પ્રારંભ થયો હતો. ભારતના 80મા સ્વતંત્રતા દિવસના અવસરે ભારતીય ટીમે તિરંગો ફરકાવી રાષ્ટ્રગાન ગાઈ દેશભક્તિ સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હતી.
આ મેચ ભારતીય ક્રિકેટ માટે ખાસ બની છે, કારણ કે શ્રીલંકા સામેનો આ મુકાબલો ભારતનો 600મો ટેસ્ટ મેચ છે. આ સિદ્ધિ સાથે ભારત 600 ટેસ્ટ મેચ રમનાર વિશ્વનો ત્રીજો દેશ બન્યો છે.
ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી
કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલે ભારતીય ઈનિંગની શરૂઆત કરી હતી. ટીમની પ્લેઈંગ-11માં સરફરાઝ ખાન અને ગુરનૂર બરાડને સ્થાન મળ્યું નથી.
599 ટેસ્ટમાં ભારતનું પ્રદર્શન
- મેચ: 599
- જીત: 186
- હાર: 188
- ડ્રો: 224
- ટાઈ: 1
- જીતની ટકાવારી: 31.13%
શ્રીલંકા સામેની બંને ટેસ્ટમાં જીત મળે તો ભારતનો જીત-હારનો રેકોર્ડ બરાબર થઈ જશે.
1932થી શરૂ થયેલી ટેસ્ટ સફર
ભારતે 25 જૂન 1932ના રોજ લોર્ડ્સ ખાતે ઈંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. સી.કે. નાયડુ ભારતના પ્રથમ ટેસ્ટ કેપ્ટન હતા. ભારત માટે પ્રથમ ટેસ્ટ વિકેટ મોહમ્મદ નિસારે ઝડપી હતી, જ્યારે પ્રથમ ટેસ્ટ સદી લાલા અમરનાથે 1933માં ઈંગ્લેન્ડ સામે ફટકારી હતી.
ભારતને પોતાની પ્રથમ ટેસ્ટ જીત માટે 20 વર્ષ રાહ જોવી પડી હતી. ફેબ્રુઆરી 1952માં મદ્રાસ ખાતે ઈંગ્લેન્ડ સામે ભારતે પ્રથમ ટેસ્ટ વિજય મેળવ્યો હતો. ત્યારબાદ વિદેશી ધરતી પર પ્રથમ ટેસ્ટ જીત માટે વધુ 16 વર્ષ રાહ જોવી પડી હતી અને 1968માં ન્યૂઝીલેન્ડ સામે ડુનેડિન ખાતે ભારતે આ સિદ્ધિ મેળવી હતી.
કુંબલેના નામે ઐતિહાસિક રેકોર્ડ
ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 619 વિકેટ અનિલ કુંબલેના નામે છે. 1999માં દિલ્હીના કોટલા મેદાનમાં પાકિસ્તાન સામે તેમણે એક જ ઈનિંગમાં તમામ 10 વિકેટ ઝડપી હતી. આવું કરનાર તેઓ ભારતના પ્રથમ બોલર બન્યા હતા.
2009માં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપમાં ભારત પ્રથમ વખત ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 ટીમ બન્યું હતું.
600 ટેસ્ટનો આ ઐતિહાસિક પડાવ ભારતીય ક્રિકેટની 94 વર્ષની ટેસ્ટ સફરમાં વધુ એક સુવર્ણ અધ્યાય બની ગયો છે.








