સસ્તા સ્માર્ટફોનનું બજાર ઘટ્યું; રૂ. 9 હજારથી ઓછી કિંમતના ફોનના વેચાણમાં 74%નો ઘટાડો
નવી દિલ્હી: ભારતમાં સસ્તા સ્માર્ટફોનનું બજાર ઝડપથી સંકોચાઈ રહ્યું છે. ફોનના મેમરી, ચિપ્સ અને અન્ય પાર્ટ્સ મોંઘા થતાં કંપનીઓ માટે રૂ. 9,000થી ઓછી કિંમતના ફોન બનાવવાનું મુશ્કેલ બન્યું છે. આવી સ્થિતિમાં બજેટ ગ્રાહકોને આકર્ષવા માટે કેટલીક કંપનીઓ ફરી 4G ટેક્નોલોજી તરફ વળી રહી છે.
સસ્તા ફોનના વેચાણમાં મોટો ઘટાડો
IDCના રિપોર્ટ અનુસાર એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળામાં રૂ. 9,000થી ઓછી કિંમતના સ્માર્ટફોનના વેચાણમાં ગયા વર્ષની સરખામણીએ 74.3 ટકાનો ઘટાડો નોંધાયો છે.
આ કેટેગરીનો બજાર હિસ્સો પણ 15.6 ટકાથી ઘટીને માત્ર 4.5 ટકા રહ્યો છે.
સ્માર્ટફોનની સરેરાશ કિંમત રૂ. 28,400
સમગ્ર સ્માર્ટફોન બજારમાં કુલ વેચાણ 11.1 ટકા ઘટીને 3.32 કરોડ યુનિટ થયું છે. બીજી તરફ સ્માર્ટફોનની સરેરાશ કિંમત 14.4 ટકા વધીને આશરે રૂ. 28,400 થઈ ગઈ છે.
ફોનના પાર્ટ્સ મોંઘા થવાથી કંપનીઓના ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે. નફો જાળવી રાખવા માટે કંપનીઓએ ડિસ્કાઉન્ટમાં પણ ઘટાડો કર્યો છે.
પ્રીમિયમ ફોનની માંગ વધી
સસ્તા ફોનની માંગ ઘટી રહી છે ત્યારે રૂ. 36,000થી રૂ. 54,000ની કિંમત ધરાવતા પ્રીમિયમ સ્માર્ટફોનની માંગમાં 60.3 ટકાનો વધારો થયો છે.
એન્ટ્રી-લેવલ 5G ફોન મોંઘા થતાં કેટલીક બ્રાન્ડ્સે ફરી 4G મોડલ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પરિણામે ત્રિમાસિક ગાળામાં 4G ફોનનો હિસ્સો વધીને 11.1 ટકા થયો છે.
જોકે, નિષ્ણાતોના મતે જૂનો 4G સ્ટોક પૂરો થયા બાદ ગ્રાહકો પાસે મોંઘા 5G ફોન ખરીદવા સિવાય મર્યાદિત વિકલ્પો રહેશે.
Vivo, Xiaomi અને Realmeના વેચાણમાં ઘટાડો
ચાઇનીઝ સ્માર્ટફોન બ્રાન્ડ્સને પણ બજારમાં મંદીની અસર થઈ છે.
- Vivo: વેચાણમાં 13.9% ઘટાડો
- Xiaomi: 10% ઘટાડો
- Realme: 14.2% ઘટાડો
- iQOO: 61% સુધી ઘટાડો
આગામી તહેવારોની સિઝનમાં સસ્તી જૂની ઇન્વેન્ટરી ખતમ થતાં ફોનની કિંમતોમાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
Airtelના ચાર લોકપ્રિય પ્રીપેડ પ્લાન બંધ
રૂ. 299નો પ્લાન પણ હટાવ્યો, ગ્રાહકો પર વધશે રિચાર્જનો બોજ
ભારતી એરટેલે પોતાના રૂ. 299, રૂ. 579, રૂ. 619 અને રૂ. 649ના ચાર પ્રીપેડ પ્લાન બંધ કરી દીધા હોવાનું સામે આવ્યું છે.
આ પૈકી રૂ. 299નો પ્લાન ગ્રાહકોમાં ખાસ લોકપ્રિય હતો. હવે આ પ્લાન ઉપલબ્ધ નહીં હોવાથી ગ્રાહકોને વધુ કિંમતના રિચાર્જ તરફ જવું પડી શકે છે.
રૂ. 199 અને રૂ. 219ના પ્લાન યથાવત
હાલમાં રૂ. 199 અને રૂ. 219ના રિચાર્જ પ્લાનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જોકે રૂ. 299નો પ્લાન બંધ થતાં ગ્રાહકોને હવે ઓછામાં ઓછો રૂ. 349નો પ્લાન લેવો પડી શકે છે.
અર્થાત, અગાઉની સરખામણીએ ગ્રાહકોના રિચાર્જ ખર્ચમાં આશરે 16 ટકાનો વધારો થઈ શકે છે. કંપનીએ પ્લાન બંધ કરવા અંગે હજુ સુધી સત્તાવાર કારણ જાહેર કર્યું નથી.








