નવી દિલ્હી: પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના વરિષ્ઠ કમાન્ડર રિઝવાન હનીફે દાવો કર્યો છે કે છેલ્લા ત્રણથી ચાર વર્ષ દરમિયાન સંગઠનના 30થી વધુ આતંકીઓ ટાર્ગેટેડ હુમલામાં માર્યા ગયા છે. તેણે આ ઘટનાઓ માટે ભારતીય જાસૂસી એજન્સીઓને જવાબદાર ઠેરવી છે, જોકે પોતાના દાવાના સમર્થનમાં કોઈ પુરાવા રજૂ કર્યા નથી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં રિઝવાન હનીફે કહ્યું કે કરાચી, પેશાવર, રાવલપિંડી અને મુઝફ્ફરાબાદ સહિતના વિસ્તારોમાં અજાણ્યા હુમલાખોરોએ લશ્કર સાથે જોડાયેલા અનેક લોકોની હત્યા કરી છે.
રિઝવાને આરોપ લગાવ્યો કે આ હુમલાઓ પાછળ ભારતીય ગુપ્તચર એજન્સીઓનો હાથ છે. જોકે ભારત સરકાર અગાઉ પણ આવા તમામ આરોપોને નિરાધાર અને બિનઆધારિત ગણાવી ચૂકી છે.
અહેવાલો અનુસાર રિઝવાન હનીફ આતંકી ભરતી અને સરહદ પાર ઘુસણખોરી સાથે જોડાયેલો મુખ્ય ચહેરો માનવામાં આવે છે. વીડિયોમાં તેણે ઉશ્કેરણીજનક અને વાંધાજનક નિવેદનો પણ આપ્યા હોવાનું સામે આવ્યું છે.
તાજેતરના આ દાવાઓ બાદ પાકિસ્તાનમાં કાર્યરત આતંકી સંગઠનોમાં સુરક્ષાને લઈને ચિંતા વધી હોવાનું માનવામાં આવી રહ્યું છે.








