વહેલી સવારે ઘાટકોપર-કુર્લા વિસ્તારમાં દુર્ઘટના; પોલીસ, ફાયર અને NDRFની ટીમો રેસ્ક્યૂમાં જોડાઈ
મુંબઈ: મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે વહેલી સવારે ભૂસ્ખલનની ઘટના બની છે. ઘાટકોપર-કુર્લા વિસ્તારમાં સર્જાયેલી આ દુર્ઘટનામાં બે લોકોનાં મોત થયા છે, જ્યારે 6થી 8 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે.
પ્રાથમિક માહિતી મુજબ, સવારે આશરે 3:30 વાગ્યે કુર્લાના ચિરાગનગર અને ઘાટકોપરના અશોકનગર વિસ્તારમાં ભૂસ્ખલન થયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયરબ્રિગેડ અને NDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.
રેસ્ક્યૂ દરમિયાન અત્યાર સુધી બે મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે બે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સતત વરસાદ અને મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે કાટમાળ હટાવીને દટાયેલા લોકોને શોધવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. મૃત્યુઆંક વધવાની આશંકા વચ્ચે રેસ્ક્યૂ ઓપરેશન હજુ ચાલુ છે.








