અંધાધૂંધ ગોળીબારમાં હુમલાખોર સહિત 3નાં મોત, 3 પોલીસકર્મીઓ ઘાયલ
મિનિયાપોલિસની બહુમાળી એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં સાંજે અચાનક ગોળીબાર થતાં ભારે અફરાતફરી મચી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ માત્ર ત્રણ મિનિટમાં સ્થળ પર પહોંચી ગઈ હતી. બિલ્ડિંગમાં પ્રવેશતા જ પોલીસને ઘાયલ લોકો મળી આવ્યા હતા અને ઉપરના માળેથી ગોળીબારનો અવાજ સંભળાયો હતો.
પોલીસ અધિકારીઓ ઉપરના માળે પહોંચ્યા ત્યારે ત્યાં ધુમાડા જેવું વાતાવરણ હતું. બે લોકો ગંભીર રીતે ઘાયલ હાલતમાં મળી આવ્યા હતા. તેમાંથી એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય વ્યક્તિએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.
દરમિયાન, પોલીસને શકમંદ હુમલાખોર પણ મૃત હાલતમાં મળી આવ્યો હતો. જોકે તેનું મોત કયા સંજોગોમાં થયું તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી.
બચાવ અને કાર્યવાહી દરમિયાન હુમલાખોરના ગોળીબારમાં ત્રણ પોલીસ અધિકારીઓ પણ ઘાયલ થયા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને પોલીસ દ્વારા ફાયરિંગ પાછળના કારણો તથા હુમલાખોરની ઓળખ સહિતની બાબતો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.








