ચીન પોતાની નૌસૈનિક ક્ષમતા વધારવા માટે હવે માત્ર યુદ્ધજહાજો અને વિમાનોની સંખ્યા વધારવા પૂરતું સીમિત નથી રહ્યું. તે મોટી સંખ્યામાં કેરિયર પાયલોટ્સ તૈયાર કરવા માટે કાયમી ભરતી અને તાલીમ વ્યવસ્થા ઊભી કરી રહ્યું છે. ચીનની આ રણનીતિ હિન્દ મહાસાગરમાં ભારત માટે મહત્વનો પડકાર બની શકે છે.
ચીન હાઈસ્કૂલના યુવાનો, નૌસેનાની એવિએશન સ્કૂલના વિદ્યાર્થીઓ, સાયન્સ-એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ તેમજ સૈન્ય અને સિવિલ ઉમેદવારોમાંથી પાયલોટની ભરતી કરી રહ્યું છે. સાથે જ મહિલા કેરિયર પાયલોટ્સને પણ તાલીમ આપવામાં આવી રહી છે.
ચીનના વિમાનવાહક જહાજોની સંખ્યા અને ક્ષમતા સતત વધી રહી હોવાથી ભવિષ્યમાં મોટી સંખ્યામાં પાયલોટ, ટ્રેનર્સ અને ટેકનિકલ સ્ટાફની જરૂર પડશે. ભારત પાસે કેરિયર ઓપરેશનનો લાંબો અનુભવ હોવા છતાં હવે માનવ સંસાધન અને તાલીમ ક્ષમતાને વધુ મજબૂત બનાવવી જરૂરી બની રહી છે. ચીનની આ તૈયારીની સીધી અસર હિન્દ મહાસાગરના વ્યૂહાત્મક સંતુલન પર પડી શકે છે.








