મુંબઈના 26/11 આતંકી હુમલાના 6 પાકિસ્તાની આરોપીઓ સામે હવે તેમની ગેરહાજરીમાં જ ટ્રાયલ ચલાવવાની પ્રક્રિયા શરૂ થઈ છે. આરોપીઓમાં લશ્કર-એ-તૈયબાના હાફિઝ સઈદ અને ઝકી-ઉર-રહમાન લખવી ઉપરાંત સાજિદ મીર, અબુ અલકમા, આસિમ અને મેજર અબ્દુર રહમાન પાશાનો સમાવેશ થાય છે.
સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર ઉજ્જવલ નિકમના જણાવ્યા મુજબ BNSS-2023ની કલમ 356 હેઠળ ફરાર આરોપીઓ વિદેશમાં હોવા છતાં તેમની ગેરહાજરીમાં કેસ ચલાવવાની જોગવાઈ છે. આથી આરોપીઓ દેશની બહાર હોવાના કારણે ન્યાયપ્રક્રિયામાં વિલંબ નહીં થાય.
સ્પેશિયલ કોર્ટે છ આરોપીઓ સામે જાહેરનામું બહાર પાડ્યું છે. નોટિસને ઇન્ટરપોલ મારફતે વિશ્વભરમાં જાહેર કરાવવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મદદ લેવામાં આવી રહી છે.








