આંધ્ર પ્રદેશમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા, આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં
નવી દિલ્હી: દેશના દક્ષિણ ભારતમાં કોરોનાના નવા કેસોમાં વધારો નોંધાતા આરોગ્ય તંત્ર ફરી સતર્ક બન્યું છે. છેલ્લા 24 કલાકમાં આંધ્ર પ્રદેશમાં 10 નવા કેસ નોંધાતા દક્ષિણ ભારતમાં કુલ સક્રિય કેસોની સંખ્યા 49 પર પહોંચી છે. નવા કેસોના કારણે કોરોના સંક્રમણની નવી લહેર અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે.
આંધ્ર પ્રદેશમાં નોંધાયેલા નવા કેસોમાં ગુંટુરમાં 3, એનટીઆર જિલ્લામાં 2 તેમજ અલ્લુરી સીતારામ રાજુ, એલુરુ, કૃષ્ણા, તિરુપતિ અને વિશાખાપટ્ટનમ જિલ્લામાં એક-એક કેસ નોંધાયો છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, હાલના 49 દર્દીઓમાંથી 24 હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 16 દર્દીઓમાં હળવા લક્ષણો હોવાથી હોમ આઇસોલેશનમાં સારવાર ચાલી રહી છે. અત્યાર સુધીમાં 5 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે, જ્યારે 4 લોકોના મોત નોંધાયા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં પણ કોરોનાના કેટલાક કેસ સામે આવ્યા છે, જોકે અત્યાર સુધી નોંધાયેલા તમામ મૃત્યુ દક્ષિણ ભારતમાં થયા છે.
કોરોનાના કેસો એક જ શહેર પૂરતા મર્યાદિત ન રહી વિવિધ જિલ્લાઓમાં ફેલાતા આરોગ્ય વિભાગે તમામ જિલ્લાઓમાં દેખરેખ વધારી છે અને સંભવિત સંક્રમણને રોકવા માટે જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.








