DEOનો મહત્વનો આદેશ; નિયમોનો ભંગ કરનાર વિદ્યાર્થીઓને શાળામાં એન્ટ્રી નહીં મળે
અમદાવાદ: વિદ્યાર્થીઓની માર્ગ સુરક્ષા સુનિશ્ચિત કરવા અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી (DEO)એ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે શહેરની શાળાઓમાં હેલ્મેટ અને માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ વગર દ્વિચક્રી વાહન લઈને આવતા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
DEO દ્વારા તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓને આ આદેશનું કડક પાલન કરવા સૂચના આપવામાં આવી છે. શાળા સંચાલનને વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવા તેમજ નિયમોનું પાલન કરાવવા પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.
આ નિર્ણયનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવાનો અને અકસ્માતોની સંભાવના ઘટાડવાનો હોવાનું શિક્ષણ વિભાગે જણાવ્યું છે.








