SCO બાદ BRICS બેઠકમાં ત્રણેય રાષ્ટ્રવડાઓની ફરી મુલાકાત; વૈશ્વિક તણાવ વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચાઓ પર નજર
નવી દિલ્હી: વિશ્વના અનેક ભાગોમાં ચાલી રહેલા રાજકીય અને ભૌગોલિક તણાવ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત પર સમગ્ર વિશ્વની નજર છે. ત્રણેય નેતાઓ 26મી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર પરિષદમાં ભાગ લેવા કિર્ગિઝસ્તાનની રાજધાની બિશ્કેક પહોંચ્યા છે.
SCO સમિટ દરમિયાન મોદી, પુતિન અને જિનપિંગ વચ્ચે મુલાકાત થવાની શક્યતા છે. આ ઉપરાંત પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પણ સમિટમાં હાજર રહ્યા છે.
મોદી-શાહબાઝ એક જ મંચ પર
SCOની બેઠકમાં ભારતના વડાપ્રધાન મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફનો એક જ મંચ પર સામનો થશે. જોકે, બંને નેતાઓ વચ્ચે અલગથી દ્વિપક્ષીય મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું નથી.
ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોને જોતા બંને નેતાઓની એક જ આંતરરાષ્ટ્રીય મંચ પર હાજરી મહત્વપૂર્ણ બની છે.
સપ્ટેમ્બરમાં ફરી એક મંચ પર આવશે
બિશ્કેકની SCO બેઠક બાદ ભારતમાં BRICS શિખર બેઠક યોજાવાની છે. આ બેઠકમાં પુતિન અને શી જિનપિંગ ભારત આવે તેવી શક્યતા છે. પરિણામે મોદી, પુતિન અને જિનપિંગની ટૂંકા સમયગાળામાં ફરી મુલાકાત થશે.
આ બેઠકમાં ઈરાન યુદ્ધ, અમેરિકા સાથેના સંબંધો, વૈશ્વિક રાજકીય તણાવ અને BRICSની નવી ડિજિટલ કરન્સી સહિતના મુદ્દાઓ ચર્ચામાં રહેવાની શક્યતા છે.
ભારતની રાજદ્વારી સક્રિયતા
ચીન અને રશિયા સાથેના સંબંધોને લઈને ભારતની રાજદ્વારી સક્રિયતા પણ વધી છે. તાજેતરમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ચીનની મુલાકાતે ગયા હતા, જ્યારે વિદેશ મંત્રી એસ. જયશંકર રશિયાની મુલાકાતે ગયા હતા.
SCOની સ્થાપના 2001માં થઈ હતી. 10 સભ્યો ધરાવતા આ સંગઠનની બિશ્કેકમાં યોજાઈ રહેલી બેઠક 26મી શિખર બેઠક છે.
વિશ્વમાં વધતા તણાવ વચ્ચે SCO બાદ ભારતમાં યોજાનારી BRICS બેઠકમાં મોદી, પુતિન અને જિનપિંગની સંભવિત મુલાકાતને કારણે બંને બેઠકો પર વૈશ્વિક સમુદાયની ખાસ નજર રહેશે.








