રાજકોટ: રાજકોટ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો છે. ગોંડલની 3 માસની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હાલ તે રાજકોટ સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.
મળતી માહિતી મુજબ, બાળકીનો શ્રમિક પરિવાર 15 દિવસ પહેલાં મધ્યપ્રદેશથી ગુજરાત આવ્યો હતો. તબિયત બગડતાં 19 જુલાઈએ બાળકીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ ઉપરાંત મેટોડાના 10 વર્ષના અને ખીરસરાના 6 વર્ષના બાળકમાં પણ ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જોવા મળતાં તેમના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
કેસ સામે આવતા આરોગ્ય વિભાગ અને હોસ્પિટલ તંત્ર એલર્ટ બન્યું છે. બંને શંકાસ્પદ બાળકોના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, જ્યારે સંક્રમણ રોકવા માટે જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.









