નવી દિલ્હી: પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતા અને બલુચિસ્તાનમાં વધી રહેલા અસંતોષ વચ્ચે બલુચ નેતાઓએ ફરી એકવાર સ્વતંત્ર બલુચિસ્તાનની માંગ ઉઠાવી છે. રિપબ્લિક ઓફ બલુચિસ્તાનના નેતાઓએ વિશ્વભરના બલુચ સમુદાયને 11 ઓગસ્ટે ‘બલુચિસ્તાન સ્વતંત્રતા દિવસ’ તરીકે ઉજવવાનું આહ્વાન કર્યું છે.
બલુચ નેતા મીર યાર બલોચે જણાવ્યું કે, 11 ઓગસ્ટ 1947ના રોજ બલુચિસ્તાનને સ્વતંત્ર જાહેર કરવામાં આવ્યું હતું અને આ ઐતિહાસિક દિવસને યાદ રાખીને દરેક બલુચ પરિવારે પોતાના ઘરો પર સ્વતંત્ર બલુચિસ્તાનનો ધ્વજ ફરકાવવો જોઈએ.
તેમણે પાકિસ્તાન સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે વર્ષોથી બલુચિસ્તાનમાં દમનકારી નીતિઓ અપનાવવામાં આવી રહી છે. બલુચ નેતાઓનો દાવો છે કે પાકિસ્તાનની નીતિઓના કારણે માત્ર બલુચિસ્તાન જ નહીં, પરંતુ સમગ્ર પ્રદેશમાં અસ્થિરતા અને હિંસા વધી છે.
બલુચ સંગઠનોનું કહેવું છે કે તેમની સ્વતંત્રતાની માંગ ઐતિહાસિક આધાર ધરાવે છે અને આ મુદ્દે તેઓ આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં અસંતોષના અવાજો વધુ ઉગ્ર બન્યા છે. આવી સ્થિતિમાં બલુચિસ્તાન દ્વારા 11 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઉજવવાના આહ્વાનને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.








