જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડોકટરો પાસે નિયમ કરતાં વધુ કામ કરાવવામાં આવતું હોવા તથા પૂરતી ઊંઘ અને ખોરાક ન મળતા હોવાના બેનામી આક્ષેપો સામે આવ્યા હતા. જોકે, કોલેજના ડીન ડો. નંદિની દેસાઈએ આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
ફરિયાદ બાદ કોલેજ વહીવટી તંત્રે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. ડીનના જણાવ્યા મુજબ, 22ેય વિભાગના વડાઓ પાસેથી અહેવાલ મંગાવવામાં આવ્યો હતો. તમામ વિભાગોના અહેવાલમાં ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોમાં કોઈ તથ્ય ન હોવાનું જણાવાયું છે.
ડીને જણાવ્યું કે રેસિડેન્ટ ડોકટરોની પૂરતી કાળજી લેવામાં આવે છે અને મહિનાઓ સુધી રજા ન મળતી હોવાની વાત પણ ખોટી છે.
ફરિયાદ માટે QR કોડ અને મેન્ટરની વ્યવસ્થા
રેસિડેન્ટ ડોકટરો અને વિદ્યાર્થીઓ પોતાની સમસ્યાઓ નિર્ભયતાથી રજૂ કરી શકે તે માટે કોલેજમાં QR કોડ સિસ્ટમ, ડીનની ઈ-મેલ આઈડી અને મેન્ટરની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમ છતાં અત્યાર સુધી આવી કોઈ ફરિયાદ મળી નથી.
ડીને જણાવ્યું કે ભવિષ્યમાં જો કોઈ વાસ્તવિક સમસ્યા અથવા નિયમભંગની ફરિયાદ સામે આવશે તો તેની યોગ્ય તપાસ કરી નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.








