22 મહિના બાદ કડક નીતિ અમલમાં; સોલાર, EV અને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ પર પણ પડશે અસર
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ચાંદીની આયાત નીતિમાં મોટો ફેરફાર કરતાં 22 મહિના પહેલાં આપવામાં આવેલી રાહતો પાછી ખેંચી લીધી છે. હવે ચાંદીની આયાત માટે લાયસન્સ ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને અસરકારક આયાત જકાત ફરી વધારીને 15 ટકા કરવામાં આવી છે. પરિણામે મે 2026માં ચાંદીની આયાતમાં ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે.
સરકારી આંકડા મુજબ મે મહિનામાં માત્ર 33 ટન ચાંદીની આયાત થઈ હતી, જે ગયા વર્ષની સરખામણીએ 94 ટકા ઓછી છે. મૂલ્યની દૃષ્ટિએ આયાત 566 મિલિયન ડોલરથી ઘટીને 75.5 મિલિયન ડોલર પર આવી ગઈ છે.
સરકારના નવા નિયમો મુજબ હવે સિલ્વર બાર, ઇંગોટ, પાવડર અને અશુદ્ધ ચાંદીની આયાત માટે પૂર્વ મંજૂરી અથવા લાયસન્સ ફરજિયાત રહેશે. આથી આયાત માત્ર મોંઘી જ નહીં પરંતુ નિયંત્રિત પણ બની ગઈ છે.
આ નીતિની અસર માત્ર બુલિયન બજાર પૂરતી મર્યાદિત નથી. સોલાર પેનલ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિક વાહનો જેવા ક્ષેત્રોમાં ચાંદી મહત્વના કાચા માલ તરીકે વપરાતી હોવાથી ઔદ્યોગિક ક્ષેત્ર પણ તેની અસર અનુભવી શકે છે.
જુલાઈ 2024ના બજેટમાં સરકારે આયાત જકાત 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરી હતી, જેના કારણે ચાંદીની આયાતમાં ભારે વધારો થયો હતો. વધતા આયાત બિલને નિયંત્રિત કરવા સરકારે હવે ફરી ડ્યુટી વધારી લાયસન્સિંગ સિસ્ટમ અમલમાં મૂકી છે.
સરકાર સ્થાનિક રિફાઇનિંગ અને રિસાયકલિંગને પ્રોત્સાહન આપી આયાત પરની નિર્ભરતા ઘટાડવા માંગે છે. જોકે ભારતનું સ્થાનિક ઉત્પાદન મર્યાદિત હોવાથી નજીકના સમયમાં ઉદ્યોગોની જરૂરિયાત માટે આયાત મહત્વની જ રહેશે.
નિષ્ણાતોના મતે આગામી મહિનાઓમાં લાયસન્સ મંજૂરીની ગતિ, સ્થાનિક રિફાઇનિંગ ક્ષમતા અને તહેવારોની સિઝનની માંગ – આ ત્રણ પરિબળો ચાંદીના બજારની દિશા નક્કી કરશે.








