સુરત: ભારે વરસાદના કારણે શહેરના અનેક મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. શ્યામ મંદિર, અલ્થાણ રોડ, મહાવીર ભગવાન યુનિવર્સિટી સામે તેમજ DGVCL ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ટ્રાફિક પોલીસે ડાયવર્ઝન અમલમાં મૂક્યું છે.
શ્યામ મંદિર વિસ્તારનો ટ્રાફિક BRTS રૂટ તરફ વાળવામાં આવ્યો છે, જ્યારે પાણી ભરાયેલા માર્ગો પર બેરિકેટિંગ કરી વાહનચાલકોને વૈકલ્પિક માર્ગો અપનાવવા અપીલ કરવામાં આવી છે.
ટ્રાફિક પોલીસ દર બે કલાકે રૂટ અપડેટ્સ જાહેર કરી રહી છે અને ભારે વરસાદને પગલે અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત મોનિટરિંગ કરી રહી છે. મુસાફરી પહેલાં ટ્રાફિક અપડેટ્સ ચેક કરવા તેમજ પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા નાગરિકોને સૂચના આપવામાં આવી છે.








