કચ્છ: પૂર્વ કચ્છ જિલ્લામાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. રાપર અને ગાંધીધામ સહિત અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડતાં ચોમાસાનું વાતાવરણ ફરી સક્રિય બન્યું હતું.
રાપર તાલુકાના બાલાસર, રામવાવ સહિતના અનેક ગામોમાં મેઘરાજાએ મહેર વરસાવી હતી. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમી તથા ઉકળાટમાંથી રાહત મળી હતી.
કચ્છી નવા વર્ષના પાવન દિવસે વરસાદ વરસતા સ્થાનિકોમાં આનંદ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અનેક લોકોએ આ વરસાદને શુભ સંકેત ગણાવ્યો હતો.
વરસાદથી ખેડૂતોમાં પણ નવી આશા જાગી છે. સમયસર વરસાદ થતાં ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાશે અને સારા પાકની સંભાવના વધશે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
હવામાનમાં આવેલા આ બદલાવ બાદ આગામી દિવસોમાં પણ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.








