ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે ગતિ પકડી રહ્યું છે. અત્યાર સુધી રાજ્યમાં મોસમનો સરેરાશ 25.10 ટકા વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં પાણીની આવક વધતા જળસંગ્રહની સ્થિતિમાં સુધારો થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 65.61 ટકા જળસંગ્રહ નોંધાયો છે, જે આગામી સમય માટે પાણીની ઉપલબ્ધિ અંગે રાહતજનક સંકેત માનવામાં આવી રહ્યો છે.
ઝોનવાર વરસાદના આંકડા મુજબ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 35.29 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારબાદ સૌરાષ્ટ્રમાં 27.98 ટકા અને મધ્ય-પૂર્વ ગુજરાતમાં 17.83 ટકા વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં 14.39 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે કચ્છમાં માત્ર 2.14 ટકા વરસાદ થતા હજુ પણ ચિંતાજનક સ્થિતિ યથાવત છે.
રાજ્યના વિવિધ જળાશયોમાં પણ પાણીનો સંગ્રહ સતત વધી રહ્યો છે. હાલ 5 જળાશયો સંપૂર્ણ ભરાઈ ગયા છે, જ્યારે 20 જળાશયોમાં 70થી 100 ટકા પાણીનો સંગ્રહ છે. ઉપરાંત 24 જળાશયોમાં 50થી 70 ટકા, 51 જળાશયોમાં 25થી 50 ટકા અને 106 જળાશયોમાં 25 ટકા સુધીનો જળસંગ્રહ નોંધાયો છે.
હાલની સ્થિતિને જોતા રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પાણીની ઉપલબ્ધિ અંગે સકારાત્મક સંકેતો મળી રહ્યા છે. જોકે, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ સારા વરસાદની જરૂરિયાત યથાવત હોવાથી આગામી દિવસોમાં ચોમાસાની ગતિવિધિ પર સૌની નજર રહેશે.








