અમદાવાદ: અષાઢી બીજના પાવન પર્વે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા ભક્તિમય માહોલ વચ્ચે ભવ્ય રીતે પ્રસ્થાન કરી હતી. જય જગન્નાથ અને જય રણછોડના ગગનભેદી જયઘોષ વચ્ચે લાખો શ્રદ્ધાળુઓ ભગવાનના અલૌકિક દર્શન માટે ઉમટી પડ્યા હતા. સમગ્ર શહેર ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહના રંગમાં રંગાઈ ગયું હતું.
વહેલી સવારે ભગવાન જગન્નાથજી મંદિરે મંગળા આરતી સાથે ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત થઈ હતી. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે હાજર રહ્યા હતા. વિવિધ વૈદિક વિધિઓ પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીને તેમના ભવ્ય રથોમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પરંપરાગત પહિંદવિધિ સંપન્ન થયા બાદ રથયાત્રાનું વિધિવત્ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથજી ‘નંદીઘોષ’, બહેન સુભદ્રાજી ‘દર્પદલન’ અને ભાઈ બલભદ્રજી ‘તાલધ્વજ’ રથમાં બિરાજમાન રહ્યા હતા.
જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજી મંદિરથી શરૂ થયેલી રથયાત્રા કોર્પોરેશન ઓફિસ, ઢાળની પોળ, રાયપુર ચકલા, ખાડિયા, કાલુપુર, સરસપુર, પ્રેમ દરવાજા, દિલ્હી ચકલા, શાહપુર, ઘી કાંટા અને માણેકચોક સહિતના પરંપરાગત માર્ગ પરથી પસાર થઈ સાંજે નિજ મંદિરે પરત ફરશે.
રથયાત્રાના સમગ્ર માર્ગ પર લાખો ભાવિકોએ ભગવાનના દર્શન કરી પુષ્પવર્ષા અને જયઘોષ સાથે ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું. શહેરના અનેક વિસ્તારોમાં ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્ષની રથયાત્રામાં 18 શણગારેલા ગજરાજ, 101 થીમ આધારિત ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડવાજા તેમજ દેશભરમાંથી આવેલા અંદાજે 2,500 સાધુ-સંતો જોડાયા હતા. રથ ખેંચવાની સેવા માટે 1,000થી વધુ ખલાસીઓ જોડાયા હતા. ભાવિકો માટે 45 હજાર કિલો મગ, 2 લાખ ઉપેરણા તેમજ ફળપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રથયાત્રા દરમિયાન સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી હતી. સમગ્ર રૂટ પર 100 ડ્રોન, વોચ ટાવર, ધાબા પોઈન્ટ તેમજ આધુનિક સર્વેલન્સ સિસ્ટમ દ્વારા સતત નજર રાખવામાં આવી હતી. સુરક્ષા વ્યવસ્થામાં 10 આઈજી-ડીઆઈજી, 42 ડીસીપી, 88 એસીપી, 800 પોલીસ ઇન્સ્પેક્ટર સહિત અંદાજે 30 હજાર પોલીસ અને સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.









