મોરબી બાદ હવે રાજકોટના ખેડૂતો મેદાને! વીજપોલ વળતરના મુદ્દે ટ્રેક્ટર રેલી, ખેડૂત હિતરક્ષક સમિતિની રચના
રાજકોટ: મોરબી જિલ્લાના જેતપર બાદ હવે રાજકોટ જિલ્લામાં પણ વીજ ટ્રાન્સમિશન લાઇન અને વીજપોલના વળતરનો મુદ્દો ગરમાયો છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખેડૂતો પોતાના હક્ક માટે એકજૂથ બન્યા છે અને **’ખેડૂત હિતરક્ષક સમિતિ’**ની રચના કરી છે.
આંદોલનના ભાગરૂપે આજે મોટી સંખ્યામાં ખેડૂતો અને આગેવાનો ટ્રેક્ટર સાથે મેદાને ઉતર્યા હતા. પડધરી વિસ્તારમાં યોજાયેલી વિશાળ ટ્રેક્ટર રેલીના કારણે રાજકોટ-દ્વારકા હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને કેટલાક સમય માટે ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની જમીનમાંથી પસાર થતી વીજ ટ્રાન્સમિશન લાઇન અને ઉભા કરાયેલા વીજપોલ માટે તેમને યોગ્ય અને બજારભાવ મુજબનું વળતર મળતું નથી. ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા નક્કી કરાયેલા નિયમો મુજબ પૂરતું વળતર આપવામાં આવે અને ખેડૂતોના હિતોની સુરક્ષા કરવામાં આવે.
ખેડૂતોના આગેવાણોએ જણાવ્યું હતું કે જો તેમની માંગણીઓનો વહેલી તકે સંતોષકારક ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. જરૂર પડે તો જિલ્લા કક્ષાથી રાજ્યવ્યાપી લડત પણ શરૂ કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા મોરબી જિલ્લાના જેતપર વિસ્તારમાં પણ વીજપોલના વળતર મુદ્દે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હવે રાજકોટ જિલ્લાના પડધરીમાં શરૂ થયેલા આંદોલનને કારણે આ મુદ્દો સમગ્ર સૌરાષ્ટ્રમાં ચર્ચાનો વિષય બન્યો છે.
મુખ્ય મુદ્દા
- પડધરી તાલુકાના ખેડૂતો દ્વારા ખેડૂત હિતરક્ષક સમિતિની રચના.
- વીજપોલ અને ટ્રાન્સમિશન લાઇનના વળતર મુદ્દે ટ્રેક્ટર રેલી.
- રાજકોટ-દ્વારકા હાઈવે પર ટ્રાફિકજામ જેવી સ્થિતિ.
- બજારભાવ મુજબ વળતર આપવાની ખેડૂતોની માંગ.
- માંગણીઓ નહીં સ્વીકારાય તો આંદોલન વધુ ઉગ્ર કરવાની ચેતવણી.










