EOS-06 સેટેલાઈટે પેસિફિક મહાસાગરમાં નોંધાયેલા ફેરફારો ઝડપ્યા : આગામી મહિનાઓમાં સિસ્ટમ વધુ મજબૂત થવાની શક્યતા
નવી દિલ્હી : દેશ અને દુનિયામાં ‘અલ નીનોના જોખમ’ અંગે ચર્ચા વચ્ચે ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO)એ પેસિફિક મહાસાગરમાં થઈ રહેલા ફેરફારોને લઈને મહત્વપૂર્ણ સંકેતો આપ્યા છે. ISRO દ્વારા શેર કરવામાં આવેલી સેટેલાઈટ ઈમેજમાં પેસિફિક મહાસાગરની સપાટી અને વાતાવરણમાં થઈ રહેલા પરિવર્તનો સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે.
પૃથ્વીની સપાટીથી આશરે 741 કિલોમીટર ઊંચાઈએ રહેલા સેટેલાઈટ દ્વારા લેવામાં આવેલી તસવીરમાં પેસિફિક મહાસાગરમાં અલ નીનો સાથે સંકળાયેલા ફેરફારોના સંકેતો મળ્યા હોવાનું જણાવાયું છે. ભારતીય સેટેલાઈટ દ્વારા આ સમગ્ર સિસ્ટમની હિલચાલ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.
ISROના EOS-06 સેટેલાઈટ દ્વારા પેસિફિક મહાસાગરમાં થઈ રહેલા ફેરફારોનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. વૈજ્ઞાનિકો માટે આ અવલોકન મહત્વપૂર્ણ છે, કારણ કે અલ નીનોની અસર વૈશ્વિક હવામાનની સાથે વરસાદની પેટર્ન અને ભારતીય ચોમાસા પર પણ પડી શકે છે.
પેસિફિક મહાસાગરના વાતાવરણમાં પણ કેટલાક ફેરફારો જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિ આગામી સમયમાં વૈશ્વિક હવામાનમાં મોટા ફેરફારોની સંભાવના તરફ ઈશારો કરી રહી હોવાનું માનવામાં આવે છે. હાલ અલ નીનો સાથે જોડાયેલી એક સિસ્ટમ વિકસતી હોવાનું અને આવનારા મહિનાઓમાં તે વધુ મજબૂત બની શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વિશ્વ હવામાન સંગઠન (WMO)ના અગાઉના અનુમાન સાથે પણ આ સંકેતો જોડાઈ રહ્યા છે. જૂન 2026માં WMOએ અલ નીનોની સ્થિતિ અંગે આગાહી કરતાં જણાવ્યું હતું કે ઓગસ્ટ 2026 સુધીમાં અલ નીનો વિકસવાની શક્યતા 80 ટકા સુધી રહી શકે છે. જુલાઈના અંત સુધીમાં આ સ્થિતિ વધુ મજબૂત થવાના સંકેતો પણ મળ્યા હતા.
હવે આગામી મહિનાઓ પર વૈજ્ઞાનિકોની નજર છે. અલ નીનોની સિસ્ટમ વધુ મજબૂત બને છે કે નહીં અને તેની અસર વૈશ્વિક હવામાન તથા ભારતીય ચોમાસા પર કેટલી પડે છે તે મહત્વપૂર્ણ રહેશે. ઓક્ટોબર આસપાસ તેની સંભવિત અસર વધુ સ્પષ્ટ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.








