રણબીર કપૂર શ્રીરામ, સાઈ પલ્લવી માતા સીતા અને યશ રાવણના પાત્રમાં; બીજા ભાગની રિલીઝ પણ દિવાળી 2027માં
નવી દિલ્હી: ભારતીય સિનેમાની સૌથી ચર્ચિત અને મેગા બજેટ ફિલ્મ **’રામાયણ’**ની રિલીઝ તારીખની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. નિર્દેશક નિતેશ તિવારીના ડિરેક્શન અને નમિત મલ્હોત્રાના નિર્માણ હેઠળ બની રહેલી આ ફિલ્મનો પ્રથમ ભાગ 6 નવેમ્બર, 2026ના રોજ, દિવાળીના તહેવાર પહેલાં વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.
રિલીઝ ડેટની જાહેરાત સાથે ફિલ્મનું ખાસ ઇંગ્લિશ ટ્રેલર પણ લોન્ચ કરવામાં આવ્યું છે, જેથી વૈશ્વિક દર્શકો સુધી આ મહાકાવ્યને વધુ વ્યાપક રીતે પહોંચાડી શકાય.
ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રીરામ, સાઈ પલ્લવી માતા સીતા અને યશ રાવણના શક્તિશાળી પાત્રમાં જોવા મળશે. જ્યારે રવિ દુબે લક્ષ્મણની ભૂમિકામાં નજરે પડશે. મેકર્સે સ્પષ્ટ કર્યું છે કે ફિલ્મનો બીજો ભાગ દિવાળી 2027માં રિલીઝ કરવામાં આવશે.
ટ્રેલરમાં શ્રીરામના અવતારથી લઈને સીતા સ્વયંવર, 14 વર્ષનો વનવાસ અને રાવણ દ્વારા સીતાહરણ સુધીની કથાને ભવ્ય વિઝ્યુઅલ્સ અને હાઈ-એન્ડ VFX સાથે રજૂ કરવામાં આવી છે.
રણબીર કપૂરે જણાવ્યું કે ‘રામાયણ’ માત્ર એક ફિલ્મ નહીં, પરંતુ ભારતની સંસ્કૃતિ, આસ્થા અને મૂલ્યોનું પ્રતિક છે. તેમણે ઉમેર્યું કે હજારો વર્ષ જૂની આ ગાથા આજે પણ એટલી જ જીવંત અને પ્રેરણાદાયી છે.
ભવ્ય નિર્માણ, વિશ્વસ્તરીય ટેક્નોલોજી અને સ્ટારકાસ્ટ સાથે તૈયાર થઈ રહેલી ‘રામાયણ’ ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક નવો માઈલસ્ટોન સાબિત થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.








