વરસાદી અનિશ્ચિતતા અને કાચા માલની અછતથી ખાદ્ય તેલમાં સતત તેજી; રાજકોટ બજારમાં સિંગતેલ રૂ.2,845 સુધી પહોંચ્યું
રાજકોટ: રાજ્યમાં વરસાદી અનિશ્ચિતતા અને કાચા માલની મર્યાદિત આવક વચ્ચે ખાદ્ય તેલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. રાજકોટ તેલ બજારમાં આજે સિંગતેલના ડબ્બાના ભાવમાં વધુ રૂ.15નો વધારો થતાં ભાવ રૂ.2,795થી વધીને રૂ.2,845 સુધી પહોંચ્યા છે. છેલ્લા માત્ર બે દિવસમાં સિંગતેલમાં ડબ્બે કુલ રૂ.25નો વધારો નોંધાયો છે.
સિંગતેલ ઉપરાંત અન્ય ખાદ્ય તેલોમાં પણ તેજીનો માહોલ યથાવત રહ્યો હતો. કપાસિયા તેલના ભાવમાં ડબ્બે રૂ.10નો વધારો થતાં ભાવ રૂ.2,665થી રૂ.2,715 થયા છે, જ્યારે પામોલીન તેલમાં રૂ.5નો વધારો નોંધાતા ભાવ રૂ.2,365થી વધીને રૂ.2,370 થયા છે.
વેપારીઓના જણાવ્યા મુજબ, મગફળીની ઓછી આવક, નાફેડ દ્વારા ઊંચા ભાવે મગફળીનું વેચાણ તેમજ વૈશ્વિક બજારમાં તેજીના કારણે ખાદ્ય તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ચોમાસાની અસ્થિરતા વચ્ચે આગામી દિવસોમાં કાચા માલના પુરવઠા અંગેની અનિશ્ચિતતાએ પણ બજારમાં તેજીનું વલણ જાળવી રાખ્યું છે.
બજારના નિષ્ણાતોના મતે જો કાચા માલની આવકમાં ઝડપથી સુધારો નહીં થાય તો ખાદ્ય તેલના ભાવમાં આગામી દિવસોમાં પણ વધુ વધારો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.








